गुजरात

NSIT-IFSCS જેતલપુર બની રહ્યું છે વાઈલ્ડ લાઈફ ફોરેન્સિક તાલીમનું રાષ્ટ્રીય કેન્દ્ર: પ્રોજેક્ટ ‘કવચ’ અંતર્ગત ઉત્તરાખંડના ફોરેસ્ટ ઓફિસરોને અપાઈ અત્યાધુનિક તાલીમ

-NSIT-IFSCS ના ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ ઉત્તરાખંડ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસરો માટે વન્યજીવન ફોરેન્સિક વર્કશોપનું આયોજન
અમદાવાદ/જેતલપુર, 27 જાન્યુઆરી। નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી (NSIT-IFSCS) એ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. સંસ્થા દ્વારા “KAWACH” (Knowledge for Advanced Wildlife Analysis & Crime Handling) નામના ત્રણ દિવસીય સઘન રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
તા. ૨૧ થી ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ઉત્તરાખંડ ફોરેસ્ટ્રી ટ્રેનિંગ એકેડમીના રેન્જ ફોરેસ્ટ ઓફિસરો (RFOs) એ ભાગ લીધો હતો. આ વિશેષ કાર્યક્રમનું આયોજન NSIT-IFSCS ના ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રેનિંગ ડિરેક્ટર ડો. કલ્પેશ સોલંકીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ શ્રી એસ. કે. શ્રીવાસ્તવ (IFS) (APCCF – Research & Training) ના હસ્તે કરવામાં આવ્યું હતું. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે આધુનિક શિકારીઓનો સામનો કરવા માટે “ટેકનોલોજી આધારિત તપાસ” (Technology-enabled investigations) પર ભાર મૂક્યો હતો. NSIT-IFSCS ના પ્રિન્સિપાલ પ્રો. શૈલેષ અય્યરે મહેમાનોનું સ્વાગત કરતા રાષ્ટ્રીય કક્ષાના ક્ષમતા નિર્માણ માં સંસ્થાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમમાં નીચે મુજબના અત્યાધુનિક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. NSIT-IFSCS ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) હેડ ડૉ. શિવાની પંડ્યાએ આ વર્કશોપને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપવામાં ભૂમિકા ભજવી હતી. શૈક્ષણિક સત્રોની શરૂઆત કરતા ડૉ. પંડ્યાએ ફોરેન્સિક સાયન્સનામૂળભૂત સિદ્ધાંતો સમજાવતા વન્યજીવ ગુનાઓની તપાસમાં તેનું શું મહત્વ છે તે અધિકારીઓને સ્પષ્ટ કર્યું હતું. ડૉ. પરવેશ શર્માએ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન પર ટેકનિકલ તાલીમ આપી હતી. તેમણે ‘વાઇલ્ડલાઇફ ક્રાઇમ સીન મેનેજમેન્ટ’ પર સત્રો લીધા હતા, જેમાં પુરાવાને દૂષિત થયા વગર કેવી રીતે સુરક્ષિત કરવા તે શીખવવામાં આવ્યું હતું. તેમણે ફોરેન્સિક ફોટોગ્રાફીની વિશેષ તાલીમ આપી હતી, જેથી અધિકારીઓ કોર્ટમાં માન્ય રહે તે રીતે ગુનાના સ્થળનું દસ્તાવેજીકરણ કરી શકે.
ભારતમાં વાઇલ્ડલાઇફ ફોરેન્સિક્સને સંસ્થાગત બનાવનાર અગ્રણી અને સુપ્રસિદ્ધ ડૉ. કેશવ કુમાર, IPS (નિવૃત્ત) ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક અને ડાયરેક્ટર, લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB), ગુજરાત રાજ્ય, ના અત્યંત વિગતવાર અને બૌદ્ધિક રીતે પ્રેરક વ્યાખ્યાન સાથે આ તાલીમ કાર્યક્રમ તેના શિખર પર પહોંચ્યો હતો. ડૉ. કેશવ કુમારે ‘તપાસકર્તાની માનસિકતા’ (Investigator’s Mindset) વિશે ઊંડાણપૂર્વક સમજાવતા ભાર મૂક્યો હતો કે ગુનાનું સ્થળ એક ‘મૌન વાર્તાકાર’ છે, જેને ઉકેલવા માટે વૈજ્ઞાનિક અભિગમ અને અડગ ખંતની જરૂર હોય છે. તેમણે વર્ષ ૨૦૦૭ના વિશ્વ વિખ્યાત ગીર સિંહ શિકાર કેસના ઉદાહરણ દ્વારા પોતાની કાર્યપદ્ધતિ સમજાવી હતી, જેમાં વન્યજીવ ગુનાના સ્થળ પર ‘હ્યુમન ફોરેન્સિક્સ’ના તેમના ક્રાંતિકારી ઉપયોગથી સંગઠિત શિકારીઓને સજા અપાવવામાં સફળતા મળી હતી. શંકાસ્પદોના કપડાં પરથી લોહીના નમૂના એકત્ર કરી તેને માર્યા ગયેલા સિંહોના DNA સાથે મેચ કરીને, તેમજ ફિંગર-પ્રિન્ટિંગની સાથે પગના નિશાન (પગમાર્ક) ના વિશ્લેષણ દ્વારા તેમણે સાબિત કર્યું કે ફોરેન્સિક વિજ્ઞાન કેવી રીતે શંકા અને ગુનાની સાબિતી વચ્ચેનો તફાવત દૂર કરી શકે છે. તાલીમાર્થીઓ તેમના ‘આઉટ-ઓફ-ધ-બોક્સ’ અભિગમથી ખૂબ જ પ્રેરિત થયા હતા, ખાસ કરીને તેમણે જે રીતે જંગલની જમીનને પરંપરાગત ક્રાઈમ સીન તરીકે ગણીને તપાસ કરી, જેના પરિણામે ‘બહેલિયા’ ગેંગના સભ્યોની ધરપકડ થઈ હતી. અધિકારીઓએ આ સત્રની ભરપૂર પ્રશંસાકરી હતી અને નોંધ્યું હતું કે ડૉ. કુમારના વાસ્તવિક કિસ્સાઓએ તેમને માત્ર કાયદો અને વિજ્ઞાન જ નથી શીખવ્યું, પરંતુ તેમની વિશ્લેષણાત્મક વિચારસરણીમાં એક પરિવર્તનકારી બદલાવ લાવ્યો છે જે તેમના દ્રષ્ટિકોણને પરંપરાગત પેટ્રોલિંગથી વધારીને અત્યાધુનિક, પુરાવા-આધારિત ગુનાહિત તપાસ સુધી લઈ ગયો છે.”
ડૉ. ગૌરાંગ સિંધવે અધિકારીઓને ‘ફોરેન્સિક એન્ટોમોલોજી’ (કીટક વિજ્ઞાન) જેવા સૂક્ષ્મ વિષયથી માહિતગાર કર્યા હતા. તેમણે મૃત પ્રાણીના શરીર પર જોવા મળતા કીટકો અને ઈયળોની પ્રવૃત્તિ પરથી મૃત્યુનો સમય (Time Since Death – PMI) અને મૃત્યુનું કારણ કેવી રીતે જાણી શકાય તે શીખવ્યું હતું. કુદરતી મૃત્યુ અને શિકાર વચ્ચેનો ભેદ પારખવા માટે આ જ્ઞાન ખૂબ જ મહત્વનું છે.
ડૉ. કલ્પેશ સોલંકીએ “પુરાવા તરીકે DNA ની ભૂમિકા” વિષય પર માસ્ટરક્લાસ લીધો હતો. તેમણે DNA નો ઉપયોગ કરીને પ્રજાતિની ઓળખ (Species Identification) કેવી રીતે કરવી અને કોર્ટમાં કેસ સાબિત કરવા માટે જૈવિક પુરાવા (Biological Evidence) એકત્ર કરવાની ચોક્કસ પદ્ધતિઓ વિશે અધિકારીઓને પ્રશિક્ષિત કર્યા હતા.
સાયબર સુરક્ષા વિભાગના વડા ડૉ. નિકુંજે તાહિલરામણી અને શ્રી વિનય અસેરીએ વન્યજીવ ગુના વિશ્લેષણમાં સાયબર ફોરેન્સિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ પર પ્રકાશ પાડ્યો હતો.
ફોરેન્સિક વિભાગ ના ફેકલ્ટી શ્રી અનંત પાટીલ અને શ્રીઅરોમલ વેણુગોપાલન નેતૃત્વ મા વર્ગખંડની બહાર, અધિકારીઓએ ગ્રીડ સર્ચ (Grid Searches) અને ક્રાઈમ સીન કોર્ડનિંગ, ગુના સ્થળ ફોટોગ્રાફી, વન્યજીવન નમૂનાઓનો સંગ્રહ, પેકેજિંગ, ફોરવર્ડિંગ અને કસ્ટડીની જાળવણી જેવી પ્રાયોગિક કવાયતોમાં ભાગ લીધો હતો.
પ્રતિભાગીઓએ ઉત્કૃષ્ટ કસ્ટમાઇઝ્ડ સામગ્રી, વ્યવહારુ પ્રાયોગિક પ્રયોગો અને સ્ત્રોત વ્યક્તિઓ દ્વારા ઉત્કૃષ્ટ ગુણવત્તાયુક્ત રજૂઆતની પ્રશંસા કરી, જેનાથી આ તાલીમ જવલંત સફળ રહી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રિન્સિપાલ પ્રો. (ડો.) શૈલેષ અય્યર અને કેમ્પસ ડિરેક્ટર શ્રી સંજય શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આયોજન સમિતિના સભ્યો ડો. ગીતા ગુપ્તા, ડો. શિવાની પંડ્યા, ડો. હરજીત સિંહ, ડો. ખુશબુ ગૌતમ, ડો. સચિન દેવ, ડો. કુલદીપ પુરોહિત, શ્રી અનંત પાટીલ, શ્રી અરોમલ વેણુગોપાલન, શ્રી કૃષ્ણ શર્મા અને વિદ્યાર્થી સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી હતી.
આ પહેલ સાથે, NSIT-IFSCS એ ભારતમાં વન્યજીવ ફોરેન્સિક તાલીમ માટેના અગ્રણી કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button